શાંત થવાની, નિર્વિકાર થવાની, મૌન થવાની ઘ્યાન-દીક્ષા બાળકને આપવી એ કામના રૂપાંતરનું પ્રથમ ચરણ છે. બાળક આમ તો સ્વભાવથી જ મૌન છે, શાંત છે. જો એને થોડીઘણી તાલીમ અપવામાં આવે, મૌન, શાંત રહેવાની થોડી જ કેળવણી આપવામાં આવે તો જયારે તેઓ ૧૪ વર્ષનાં થશે, કામ જયારે જાગૃત થશે, ત્યારે એમનું એક દ્વાર ખૂલી ચૂકયું હશે. શકિત એકઠી થશે અને દ્વાર ખુલ્યું થયું છે તે દ્વારથી વહેવી શરૂ થઈ જશે. એમને શાંતિનો, આનંદનો, કાલહીનતાનો, નિરહંકાર ભાવનો અનુભવ સેકસના અનુભવ કરતાં ઘણો વહેલો ઉપલબ્ધ થઈ જશે.
એ અનુભવ એમની શકિતને અવળા માર્ગે જતી અટકાવી યોગ્ય માર્ગે વાળશે. પરંતુ આપણે નાનાં બાળકોને ધ્યાન તો નથી શીખવતાં, લટાનો, કામનો વિરોધ શીખવીએ છીએ. કામ પાપ છે, ગંદકી છે, કુરૂપતા છે, બૂરાઈ છે, નરક છે એ બધું આપણે શીખવીએ છીએ. એને આ બધું કહી દેવાથી કોઈ ફરક પડતો નથી, ઉલટાનું આપણા કહેવાથી જ બાળકો એ તરફ વધારે આકર્ષિત થાય છે અને નરક કેવું છે એની શોધ કરવા માંડે છે કે જેનાથી મોટા મોટા વૃદ્ધો ભયભીત છે, બેચેન છે એ વસ્તુ છે શી?
એમને અલ્પ સમયમાં જ જાણ થઈ જાય છે કે મોટેરાં જે વાતથી આપણને રોકવાના પ્રયત્નો કરે છે તેઓ પોતે જ એમાં રાત-દિવસ લીન છે. આ વાતની ખબર પડતાં જ મા-બાપમાં રહેલી એમની શ્રદ્ધા નાશ પામે છે. મા-બાપ તરફની શ્રદ્ધાનું વિનાશક કારણ નવી તાલીમ નથી, પણ મા-બાપ પોતે જ છે. તમે બાળકોને જે વસ્તુ ગંદી હોવાનું કહો છે તે જ વસ્તુમાં તમે સારી પેઠે ડૂબ્યા છો એની એમને જાણ થઈ જાય છે. તમારી દિવસની જિંદગી જુદી છે ને રાતની જુદી છે. તમે કહો છો કંઈક ને કરો છો કંઈક.
નાનાં બાળકો ભારે સૂક્ષ્મ નિરીક્ષક હોય છે. ઘરમાં શું થાય છે એનું તેઓ બારીક નિરીક્ષણ કરે છે. તેઓ જુઓ છે કે જે વાતને મા ગંદી કહે છે, બાપ ગંદી કહે છે એ જ વાત ઘરમાં રાત-દિવસ ચાલે છે. એનું જ્ઞાન એમને ઘણી જલદીથી થઈ જાય છે. એમની તમામ શ્રદ્ધા તૂટી પડે છે. એમને લાગે છે કે આ મા-બાપ પાખંડી છે, દગાબાજ છે, દંભી છે. તેઓ વાત કંઈક કરે છે પણ વર્તન એમનું જુદું જ છે.
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

No comments:
Post a Comment