Monday, May 19, 2008

Bhagwan Rajnish osho amritvani

કપડાં પહેરીને પણ આપણે દિગંબર છીએ

અમેરિકામાં હમણાં હમણાં એક નવું આંદોલન શરૂ થયું છે. એ આંદોલન ત્યાંના બહુ ધાર્મિક લોકો ચલાવે છે. આંદોલન આ પ્રકારનું છે. ગાય, ભેંસ, કૂતરાં, બિલાડી, ઘોડા, આદિને પણ રસ્તા પર વસ્ત્ર વગર નહીં કાઢવાનાં... એમને પણ કપડાં પહેરાવીને જ બહાર કાઢવાનાં. કારણ કે નગ્ન પશુઓને જોઈને બાળકો બગડી શકે છે.

ભારે મજાની વાત છે- નગ્ન પશુઓને જોઈને બાળકો બગડી શકે છે? એ માટે અમેરિકાના નીતિશાસ્ત્રીઓ પશુઓને સવસ્ત્ર બનાવવાની બાબતમાં આંદોલન કરે છે. માનવીને બચાવવા આટઆટલા પ્રયત્નો થઈ રહ્યા છે. માનવીને બચાવવાની કોશિશ કરનારા જ માનવીને નષ્ટ કરી રહ્યા છે.

પશુ પોતાની નગ્નતામાં પણ અદ્ભુત ને સુંદર હોય છે, એનો કદી વિચાર કર્યોછે? એ નગ્નતામાં પણ તેઓ નિર્દોષ છે, સરળ છે. પશુ નગ્ન છે એનો કદાચ તમને વિચાર સરખો ય નહીં આવ્યો હોય. તમારી અંદર બહુ નગ્નતા છુપાઈ ન હોય ત્યાં સુધી તમને નગ્ન નહીં દેખાય. પરંતુ જે લોકો ભયભીત છે તે લોકો જ ભયના માર્યા બધું કરી રહ્યા છે.

આજ સુધી તેઓ આવાં જ કામ કરતા રહ્યા છે, એમની તમામ પ્રવૃત્તિઓને પરિણામે માનવીની અધોગતિ જ થતી રહી છે. માણસ કોઈ દિવસ નગ્ન થઈ શકવાની, નિર્દોષ થવાની સરળતા પ્રાપ્ત કરે એની મૂળ તો જરૂર છે. જેમ મહાવીર જેવી વ્યકિત દિગંબર થઈ શકી તેમ પ્રત્યેક વ્યકિત સહજતાથી નગ્ન થઈ શકે એની જરૂર છે.

ધાર્મિક લોકો કહે છે, મહાવીરે કપડાંનો ત્યાગ કર્યો. હું કહું છું- ના, એમણે કપડાંનો ત્યાગ નથી કર્યો. એમનું ચિત્ત એટલું નિર્દોષ થઈ ગયું હશે- નાના બાળકના જેવું કે તેઓ દિગંબર બની ગયા હશે. કારણ કે ઢાંકવા જેવું જયારે કંઈ નથી રહેતું ત્યારે જ માણસ નગ્ન થઈ શકે છે. જયાં સુધી અંદર કંઈક ઢાંકવા જેવું હોય છે ત્યાં સુધી માણસ પોતાને છુપાવે છે. ઢાંકવા જેવું કંઈ ન હોય તો નગ્ન થઈ શકે.

પ્રત્યેક વ્યકિત નગ્ન થઈ શકે એવી સરળતા જયાં હોય તેવી પૃથ્વી હોવી જોઈએ. નગ્ન થવામાં અપરાધ શો છે? ભય શો છે? આજે તો કપડાં પહેરીને પણ અપરાધી લાગીએ છીએ. કપડાં પહેરીને પણ આપણે નગ્ન છીએ, અને એવી વ્યકિતઓ પણ હોય છે જે નગ્ન થઈને (કપડાં ઉતારીને) પણ નગ્ન નથી હોતી. નગ્નતા એ મનની એક વૃત્તિ છે. ચિત્ત જૉ સરળ હોય, નિર્દોષ હોય તો નગ્નતા પણ સાર્થક છે, અર્થપૂર્ણ છે, તેનું પણ એક સૌંદર્ય છે. પરંતુ આજ સુધી તો માનવીને ઝેર પાયું છે અને તેનું પરિણામ એ આવ્યું કે જીવન એક છેડાથી બીજા છેડા સુધી ઝેરીલું બની ગયું છે.

સ્ત્રીઓને આપણે કહીએ છીએ કે પતિને પરમાત્મા સમજે અને સ્ત્રીઓને બચપણથી જ શીખવવામાં આવે છે કે સેકસ પાપ છે, નરક છે. તેનાં કાલે લગ્ન થશે. તો જે વ્યકિત એને સેકસમાં લઈ જશે- નરકમાં લઈ જશે- તેને પરમાત્મા કેવી રીતે માની શકશે?

એક તરફ આપણે તેને શીખવીએ છીએ કે પતિ પરમાત્મા, અને પત્નીનો અનુભવ કહેશે કે આ પહેલો પાપી છે, જે મને નરકમાં ઘસડી જાય છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

Re-Published by - D S - Bhagwan Rajnish osho amritvani

No comments: